
બારડોલી નગરમાં આવેલી તમામ શાળાઓમાં જન્માષ્ટમીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.


પવિત્ર શ્રાવણ માસના વદ આઠમ તિથિ ( કૃષ્ણ પક્ષ )ના દિવસે વિશ્વ ભરમાં જન્માષ્ટમીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે બારડોલીની તમામ શાળાઓમાં પણ આજરોજ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન વિષ્ણુજીના આઠમા અવતાર શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના દિવસે રાત્રે 12 વાગ્યે થયો હતો. દ્વારકા, મથુરા અને વૃંદાવન સહિત સમગ્ર વિશ્વમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી પૂજાના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસના સોમવારે જન્માષ્ટમીનો તહેવાર છે. ત્યારે તમામ શાળાઓમાં રજા હોવાથી આજે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બારડોલી નગરમાં આવેલ જનતા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.આર.શાહ પ્રાથમિક શાળા, વૃષાંગ બાલ ભવન તેમજ સેંસેરીતે શાળા સહિત અન્ય શાળાઓમાં ધાર્મિક પ્રવૃતિઓ થકી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વામદોત હાઈસ્કૂલમાં વૃષાંગ બાલ ભવન તેમજ 1 થી 8ના વિદ્યાર્થીઓ અને સેંસેરીતે શાળામાં પણ વિદ્યાર્થીઓએ રાધા કૃષ્ણના પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. જન્માષ્ટમી પ્રસ્તુતિમાં કૃષ્ણ જન્મથી લઈને સંપૂર્ણ જીવનના ચિત્રો અને કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મ, મટકી ફોડ (દહીં- હાંડી) , પારણા જુલાવવાની સાથે સાથે પૂજા , અર્ચના અભિષેક અને આરતી કરતી વખતે ફૂલ અને કપૂરની સુવાસ તેમજ ઘંટડીના રણકારથી શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના પ્રસંગે વામદોત હાઈસ્કૂલના મંત્રી રાજેશભાઈ પટેલ, વૃષાંગ બાલ ભવન તથા પ્રાથમિક વિભાગના આચાર્ય નેહાબેન પટેલ, ઉપ આચાર્ય માધવીબેન પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય આશાબેન પટેલ, એડમીન રિદ્ધિબેન શાહ, શિક્ષકગણ, તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીનું આયોજન આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.
સેંસેરીતે શાળામાં આ પ્રસંગે આમંત્રિત કૃણાલ ખંડેલવાલ, ઉતસ્વી ખંડેલવાલ, ચેરમેન કિરણભાઈ વ્યાસ, ડાયરેકટર અમરભાઈ વ્યાસ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીનું આયોજન અભિમન્યુભાઈ, મનીષાબેન તેમજ ઉન્નતિબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
